મોરબી તાલુકાના નારણકા ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેમાં માઇનર-૪ માંથી નારણકા ગામના સીમાળામાં આવતી સબમાઇનરને લિફ્ટમાં ફેરવી ન હોવાથી સબમાઇનરના ખેડૂતો છેલ્લા બે વર્ષથી સિંચાઇથી વંચિત રહ્યા છે. તથા મચ્છુ-૨ની માઇનર-૪ (ડી-૨)માં ખેતર પાણીથી ભરાઇ જવાના કારણે ખેડુતોના પાક નિષ્ફળ જાય છે. જેથી નારણકા ગામના મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઈ મેરજાએ નાયબ કાર્યપાલ ઇજનેરને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, મચ્છુ-ર સિંચાઈ યોજનાની ડી- ર ની ૪ નંબરની માઇનર નારણકા ગામના સીમાડા માંથી પસાર થાય છે. આ માઇનરના છેવાળે પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી, જેથી આ માઇનરના છેવાળેથી સિંચાઈ દરમિયાન વધારાનું પાણી ખેવારીયા-દેરાળા માર્ગે (ગાડા માર્ગ) માં પાણી નીકળે છે. અને આ પાણીના લીધે અમારા ગામના ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો બંધ થઇ જવાથી બીજા ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈને જવું પડે છે. વધુમાં આજ ગાડા માર્ગે નિકાલ પામતું પાણી નારણકા ગામના અંદાજે પાંચ નીચાણવાળા ખેતરોમાં દરેક સિઝનમાં પાણી ભરાઇ જવાથી આ ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અથવા તો ખેતરો ભરાયેલ રહેવાના લીધે વાવણી થઇ શકતી નથી. જે બાબતે છેલ્લી ત્રણ સીઝન (દોઢ વર્ષથી) નાયબ કાર્યપાલક ઇજનેરને વારંવાર રજૂઆત કરેલ છે. છતા આજ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવેલ નથી.
ત્યારે નુકશાની ભોગવતા ખેડૂતોના જણાવ્યા મુજબ માઇનર ૪ માંથી આવતા વધારાના પાણીને નીચાણવાળા ભરાતા રહેતા ખેતરના શેઢાથી ૯૦૦ મીટર લંબાઇમાં અંડરગ્રાઉન્ડ મોટા પાઇપ પાથરી દેવાથી આ પાણીનો સલામત નિકાલ થઇ શકે તેમ છે. અથવા તો આ માઇનર ૪ના છેવાળેથી બોડા હનુમાન તળાવ સુધી પાઇપ પાથરીને આ પાણીને સલામત નિકાલ આપી શકાય છે.
વધુમાં આ માઈનર ૪ માંથી નારણકા ગામના સીમાડામાં આવતી સબમાઇનરને લિફ્ટમાં ફેરવી ન હોવાથી આ સબમાઇનરના ખેડૂતો છેલ્લા બે વર્ષથી સિંચાઇથી વંચિત રહે છે. મચ્છુ-૨ ની બધી માઇનરને લિફ્ટમાં ફેરવી છે. પરંતુ આ સબમાઇનરને લિફ્ટમાં ફેરવી ન હોવાથી નારણકા ગામના ખેડૂતોને અન્યાય થય રહ્યો છે. જેથી ઉપરોક્ત બન્ને પાણીના નિકાલ તેમજ સબમાઇનરને લિફ્ટમાં ફેરવવાની સમસ્યાને ગંભીરતાને ધ્યાને લઈ નિરાકરણ લાવવા રજુઆત કરી છે.