મોરબી: પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસથી કાર્યક્રમ અંતર્ગત મોરબી પાંચમાં દિવસે કિસાન સન્માન દિવસે ખેડૂતો માટે દિવસે વિજળી આપવાની યોજનાનો શુભારંભ તેમજ કૃષિલક્ષી વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને સહાય, કીટ તેમજ પૂર્વ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, પ્રવાસન મંત્રી વાસણભાઇ આહિરે માળીયા તાલુકાના મોટા દહિંસરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું કે, રાજયના જન પ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ જે કામો કર્યા તેના લેખાજોખા કરવા આપની સમક્ષ આવ્યા છીએ.

વધુમાં મંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપવાની શરૂઆત કરવાનું ભગીરથ કાર્ય ઉપાડયું હતું તેને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગળ વધારી ખેત વિષયક વીજળી દિવસે જ મળી રહે તેવુ આયોજન કર્યુ છે. કિસાન સૂર્યોદય યોજના સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓથી કિસાનોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે મોરબી વર્તુળ કચેરી હેઠળના કુલ ૪૫ ફીડરોના ૮૯ ગામના આશરે કુલ ૭૨૩૫ ખેડુતોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે. અને ત્રીજા તબક્કામાં કુલ ૨૦ ફિડરોના ૨૦ ગામના આશરે કુલ ૧૫૪૨ ખેડુતોના ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, રાજય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહી પરંતુ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સરકારના કાર્યોના લેખા-જોખા કરી પ્રજા સમક્ષ પહોચાડવામાં આવી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. વિક્રમસિંહ ચૌહાણે ખેડૂતો અંગેની યોજનાઓ પર પ્રકાશ પાડી ખેડૂતલક્ષી યોજનાથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા અને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લઇ આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પરથી કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ અને વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો, હુકમો, કીટ વિતરણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સુપ્રી.ઇજનેર વી.એલ. ડોબરીયા દ્વારા શાબ્દીક સ્વાગત કરી સૌને આવકારાયા હતા. અને કાર્યક્રમના અંતે માળિયા પ્રાંત અધિકારીશ્રી અને નાયબ કલેકટર હર્ષદીપ આચાર્યએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, પ્રવાસન મંત્રી વાસણભાઇ આહીર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, માળિયા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર હર્ષદીપ આચાર્ય, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ, સુપ્રી.ઇજનેર વી.એલ. ડોબરીયા, પંચાયતના હોદ્દોદારો, સ્થાનિક અગ્રણીઓ, સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર ગ્રામજનો તેમજ લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
