ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે (16મી મે) પાલનપુર, મોરબી અને જૂનાગઢના ભેંસાણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે.
પાલનપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે બાગાયતી પાકને મોટા નુકસાન થયું છે. આ ઉપરાંત મોરબીના ટંકારામાં કમોસમી વરસાદ વરસ્યો છે. તોફાની પવનને કારણે આઈટીઆઈમાં લગાવેલ સોલર પેનલ પવનમાં ઉડી ગઈ હતી. આસપાસ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો જૂનાગઢના ભેંસાણ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળજાળ ગરમી વચ્ચે માવઠું થયું હતું. જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ભેંસાણ પંથકમાં કેરી, તલ, અડદ, મગના પાકમાં પણ મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
