રાજ્યના આગામી બજેટ 2022માં મોરબી જીલ્લાના વિવિધ માર્ગોનો વિકાસ કરવા અને કચ્છના પ્રવેશદ્વાર માટે ત્રીજો વૈકલ્પિક માર્ગ બનાવવા મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરી નાણાં ફાળવવા માંગ ઉઠાવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબી–નવલખી ફોરલેન રોડ બનાવવાની માંગ છે. આ રોડ ઉપર અવારનવાર અકસ્માતો થાય છે. નવલખી બંદર ડેવલપ થઈ રહ્યું છે ત્યારે ભવિષ્યમાં વાહન વ્યવહાર વધશે જ તે ધ્યાને રાખી ફોરલેન રોડ મંજુર કરવા માટે રજૂઆત કરાઈ છે. ઉપરાંત નટરાજ ફાટક સામા કાંઠે, મોરબી શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજુર થયેલ છે. જેને સરકાર દ્વારા અનુમોદન આપી માર્ગ મકાન વિભાગને આગળની કાર્યવાહી માટે જરૂરી આદેશ આપવા માંગ કરવામાં આવી છે.
વધુમાં, હળવદ-ટીકર-પલાસવા ફોરલેન આર.સી.સી. રોડ કચ્છમાં પ્રવેશ માટે ત્રીજો વૈકલ્પિક માર્ગ બને તે સરહદી જીલ્લા માટે ખુબ જ જરૂરી છે. સુરજબારી પુલ ઉપર અવારનવાર કલાકો સુધી ટ્રાફીક જામ થાય છે. તે સમસ્યામાંથી મુકિત મળે તે માટે વહીવટી મંજુરી આપી નાણાં ફાળવવા રજુઆત કરી ટંકારા – થોરીયાળી – લતીપર – નદી ઉપરનો બ્રીજ ગત ચોમાસાનાં ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલ છે અને રેલીંગ તુટી ગયેલ છે. જેથી લતીપર સાવડી રીસરફેસીંગનો જોબ નંબર ફાળવી તે કામમાં થોરીયાળી લતીપર નદી ઉપરનો બ્રીજનો સમાવેશ કરવા અંતમાં જણાવાયું છે.