મોરબીના તાલુકાના મહેન્દ્રનગર ગામે માતા-પુત્રીએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન પુત્રીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ધીરુભાઈ ચુનીભાઈ કવૈયા (રહે.મૂળ માળીયા અને હાલમાં મોરબી)ના પત્ની રેખાબેન (ઉ.વ.૪૫) અને દીકરી બંસી (ઉ.વ.૨૨)એ શનિવારે સવારે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી લીધી હતી જેથી કરીને બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રેખાબેન કવૈયાએ માળીયા તાલુકાનાં મોટાભેલા ગામે રહેતા તેઓના કૌટુંબિક દિયર અમુભાઈ રતિલાલ કવૈયા અને દેરાણી પ્રવિણાબેન અમુભાઈ કવૈયાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમા જણાવ્યુ છે કે, તેઓની દીકરી બંસી સાથે આજથી સાત વર્ષ પહેલા આરોપી પ્રવિણાબેન અમુભાઈના ભાઈ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું ત્યારે તેઓએ ના કહી હતી જે બાબતનુ મનદુ:ખ રાખી બંને આરોપીઑ તેઓને તેમજ તેની દિકરી બંસીને અવાર-નવાર ફોનમા તેમજ પ્રસંગોપાત મળે ત્યારે સાત વર્ષથી માનસીક ત્રાસ આપીને મેણા ટોણા મારતા હતા. જેનાથી કંટાળીને તેઓએ અને તેની દીકરી બંસીબેને પોત પોતાની રીતે જાતેથી શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી.
હાલમાં પોલીસે રેખાબેનની ફરિયાદ લઈને તેઓના કૌટુંબિક દિયર અને દેરાણી સામે આઈ.પી.સી કલમ ૪૯૮(ક), ૫૦૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે તેવામાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લેનાર બંસીબેનનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.