મોરબી જિલ્લામાં કોરોના કેર ચાલુ છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછતથી દર્દીને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાતત સદસ્ય અને સેવાભાવી અજય લોરીયાએ ફરી દર્દીઓની વ્હારે આવીને ઓકિસજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી માટે તેઓની ટીમ તૈનાત કરી દીધી છે. તેમજ અજય લોરીયાએ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ કોરોના પોઝીટીવ દર્દીઓની સારસંભાળ લીધી હતી.
સેવા કાર્યમાં હમેંશા તત્પર રહેતા અજયભાઇ લોરીયાએ રેમડેસીવીરની અછત દરમિયાન પોતાના ખર્ચે રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવીને દર્દીઓ સુધી પહોંચાડ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલના સ્ટાફ પાસે રેમડેસીવીર ઇન્જેક્શન કલેકટ કરવાનો સમય ન હોય તેઓ પોતાના માણસો રાખીને ઇન્જેક્શન કલેક્ટ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું સેવા કાર્ય હોંશભેર કરી રહ્યા છે.

વધુમાં સિવિલમાં સ્ટાફની અછતને પગલે રાત્રીના સમયે ઓક્સિજનનો બાટલો બદલાવવાવાળું કોઈ ન હોય ગત રાત્રીના 5 લોકોનો જીવ ગયો હતો. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ અજયભાઇ લોરીયા મેદાને ઉતર્યા છે. તેઓએ પગારધોરણ ઉપર યુવાનોની ટીમ રાખીને ઓકિસજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી કરાવવાની જાહેરાત કરી દીધી હતી.
જેને પગલે આજે બેથી ત્રણ યુવાનોએ તેમનો સંપર્ક કર્યો હતો. અને તેઓએ પગાર ઉપર નહિ પણ સેવા કાજે તેઓની સાથે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં આ યુવાનો આજે અજયભાઇ લોરીયાની સાથે સિવિલ હોસ્પિટલમાં તૈનાત થઈ ગયા છે. તેઓ અત્યારે સ્ટાફની કામગીરી કરી દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.