વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ભાવનગર એરપોર્ટ ખાતે આવકારતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર કીર્તિબાળાબેન દાણીધરીયા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.

વડાપ્રધાન ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ એરફોર્સના હેલિકોપ્ટરમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર સહિતના તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લા- વિસ્તારોનું એક કલાક સુધી હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
આ હવાઈ નિરીક્ષણમાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી વડાપ્રધાન સાથે રહ્યા હતા અને તેમણે વડાપ્રધાનને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા બચાવ અને રાહત કાર્યોથી અવગત કર્યા હતા. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તેઓ ભાવનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તાઉંતે વાવાઝોડાને કારણે ગીર સોમનાથ,ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ- આંકલન કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હવાઇ નિરીક્ષણમાં જોડાયા હતા. આ પ્રસંગે મ્યુનિ.કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર ઉપસ્થિત રહ્યાં હતાં.
