વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે શિવસેના વાંકાનેર દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
(અહેવાલ: મયુર ઠાકોર) વાંકાનેર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે એક માત્ર સુવિધા છે. છતાં સરકારી તંત્ર દ્વારા વર્ષોથી મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવામાં આવી ન હોવાનું તાજેતરમાં જ એક આરટીઆઇ હેઠળ કરાયેલ અરજીમાં બહાર આવ્યું છે.
જેમાં વાંકાનેર હોસ્પિટલમાં કલાસ-૧ અધિકારીઓની કુલ જગ્યા ૭ છે. જેમાં ૫ જગ્યા ખાલી છે. એ જ રીતે સ્ત્રી રોગ નિષ્ણાંતની જગ્યા મંજુર થઈ ત્યારથી ખાલી પડી હોવાનું પણ બહાર આવ્યું છે. ઉપરાંત બાળ નિષ્ણાંત વર્ગ-૧, જનરલ સર્જન વર્ગ-૧, એનેસ્થેટીક વર્ગ-૧ ની જગ્યાઓ પણ ખાલી છે. જ્યાંરે વર્ગ-૨ ની કુલ ૫ જગ્યામાંથી વહીવટી અધિકારી કલાસ-૨ ની એક જગ્યા ખાલી પડેલી છે. ઉપરાંત વર્ગ-૩ ની કુલ જગ્યા ૩૧ છે. જેની સામે ખાલી જગ્યા ૧૬ છે તેમજ કલાસ-૪ ની કુલ ૨૦ જગ્યા છે જેની સામે ૧૫ જગ્યા ખાલી પડી છે. તેવી જ રીતે પી.પી. યુનિટ વિભાગમાં કલાસ ૧ થી લઈને કલાસ-૪ સુધીની કુલ જગ્યા ૧૦ છે. જેની સામે ૮ જગ્યા ખાલી પડી હોવાનો તાજેતરમાં જ એક આરટીઆઇના માધ્યમથી ખુલાસો થયો છે.
ત્યારે સરકારી તંત્ર દ્વારા જનારોગ્યની ચિંતા કરી ખાલી રહેલ તમામે તમામ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે જેથી વાંકાનેરના લોકોની સુવિધામાં વધારો થાય તેવી માંગ સાથે તાલુકા શિવસેના પ્રમુખ મયુર ઠાકોર, શહેર પ્રમુખ મેહુલ ઠાકોર, વાઘજીભાઈ પનારા, રૂખડભાઈ માણસૂરિયા, ભરતભાઈ રાણા, ડાયાભાઈ વીંજવાડિયા, ભગવાનજીભાઈ પરમાર, ચેતનભાઈ, નીતિનભાઈ, ભીખાભાઈ, રાજુભાઇ, સહિતના કાર્યકરો દ્વારા વાંકાનેરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
