વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ…
સોમ પીપળીયા (ગોડલાધાર)ગામે રૂ. પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પાનીયા ડેમમાં નવા નીરના વધામણા કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયેલ નાની સિંચાઈ યોજના હેઠળના પાનીયા ડેમના જળ સંચયથી જળસ્તર ઊંચું આવશે; આસપાસના ખેતરો લીલાછમ બનશે: પાણીની સમસ્યાનું નિરાકરણ થશે: લોકોને પર્યટન સ્થળ મળ્યું” :- મંત્રી કુવરજીભાઈ બાવળીયા
વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ – વોટર હાર્વેસ્ટિંગ કરવા અને જળ સ્તર વધારવા- માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રયત્નશીલ છે. તાજેતરમાં કેન્દ્રીય જળ મંત્રી સી.આર.પાટીલ દ્વારા પણ “કેચ ધ રેઈન” વરસાદી પાણીનો સમગ્ર કરવા માટે જન ઉપયોગી અભિયાન છેડવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના નાનકડા એવા ગામમાં વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ માટે એક નવ નિર્મિત ડેમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. જેમાં વરસાદના નવા નીરનાં આગમનને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના ગ્રામજનો અને આગેવાનોએ વધાવ્યું હતું .
વિછીયા તાલુકામાં સોમ પીપળીયા(ગોડલાધાર) ગામે નાની સિંચાઈ યોજના અન્વયે રૂ. પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પાનીયા ડેમમાં નવા નીરના વધામણા પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા, મામલતદાર આર.કે પંચાલ, ગામના સરપંચ અશોકભાઇ એમ. ચાવ, અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે આ ડેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું
આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, આ વર્ષે સારો એવો વરસાદ થતાં આ ગામમાં રાજ્ય સરકાર દ્વારા નવનિર્મિત થયેલ પાનીયા ડેમમાં સારા એવા પાણીનો સંગ્રહ (જળ સંચય) થયો છે.જેનાથી જળસ્તર ઊંચું આવશે. ડેમની આસપાસના ખેતરો લીલાછમ બનશે.લોકોની પાણીની સમસ્યાનું નિરાકરણ થશે. લોકોને ડેમ સ્વરૂપે એક હરવાફરવાનું સુંદર સ્થળ પણ મળ્યું છે.
આ તકે સરપંચ અશોકભાઇ એમ. ચાવે ગોડલાધાર ગામમાં રાજ્ય સરકારે ડેમ બનાવી આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરી કહ્યું હતું કે ગામને આ એક એવી સુવિધા અપાઈ છે. જેનાથી ગામમાં પાણીની સમસ્યા હળવી બનશે.ગામલોકો,ખેડૂતો, પશુપાલકોને ફાયદો થશે.આ તકે મંત્રી કુવરજીભાઇ બાવળીયાનું શાલ ઓઢાડીને સન્માન ગામના સરપંચ તથા જસદણ જીનિંગ એસો.નાં પ્રમુખ અશોકભાઇ એમ. ચાવે કર્યું હતું.