કાલીકા પ્લોટના મૌલાના અયુબ બાપુ બુખારી ઉપસ્થિત રહી બાળાઓને આપ્યા આશિવર્ચન
(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં માં આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં ઠેરઠેર પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શહેર ના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે પ્રથમ વર્ષ રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાળાઓ મન મુકી માં આધશકિતની આરાધના કરી રહી છે. જેમાં કોમી એકતાના દશ્યો સર્જાયા હતા.
મોરબી પંથકમાં શેરીએ-શેરીએ કે પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામી રહી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈને મર્યાદિત બાળાઓ અને લોકોની હાજરી વચ્ચે જ શેરી ગરબીઓ યોજાઈ રહી છે. જેમાં નાની બાળાથી લઈને મોટી બાળાઓ પણ રાસ ગરબે ઝૂમીને માતાજીની ભક્તિમાં તલ્લીન બની છે. ત્યારે આ ચાલું વર્ષ શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં સંજયભાઈ ચૌહાણ દ્વારા પ્રથમ વખત રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં બાળાઓ માં નવદુર્ગાનું આરાધના કરી રહી છે. જેમાં કાલીકા પ્લોટના મૌલાના અયુબ બાપુ બુખારી તેમજ આશીકાને મૌલા અલી ગ્રુપના બિરાદરોએ હાજરી આપી ગરબે ઝુમતી બાળાઓને આશિવર્ચન પાઠવ્યા હતા. અને દેશમાં ફેલાયેલા કોરોના વાયરસથી દેશ-દુનિયાને આઝાદ કરે તેવી દુઆ કરી હતી. આ રીતે નવરાત્રી મહોત્સવમાં કોમી એકતાના દશ્યો સર્જાયા હતા.
