મોરબીમાં બગથળા ગામે બબીકાનગરમાં પરિણીતા માવતરે હોવા છતાં શોધવાનું કહીને ચાર શખ્સોએ મહિલા સહિતનાને માર માર્યો હતો. પારિવારિક ડખ્ખામાં મારામારી થતા ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મથકે ફરિયાદ નોંધાતા ચાર આરોપીની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામે બબીકાનગરમાં રહેતા દયાબેન વિજયભાઇ કંબોયાએ આરોપીઓ કરનભાઇ ચંદુભાઇ ઘાટીલીયા, અજયભાઇ ચંદુભાઇ ઘાટીલીયા, ચેતનભાઇ ચંદુભાઇ ઘાટીલીયા, તેની બાજુમા રહેતો રાહુલ ભરતભાઈ સારલા (રહે.બધા મોરબી ખાતેના ધુતારી વિસ્તારમા)ની વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
દયાબેન કંબોયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૯ ના રોજ રાત્રિના નવેક વાગ્યા વખતે ફરીયાદીના ભાઇ સાહેદ વાલજીની પત્નિ દક્ષાબેન તેના માવતરે જતી રહેલ હોય અને તેના માવતરે હોય તેમ છતા આરોપીઓએ ફરીયાદીના ભાઇને તેની પત્નિને શોધવા માટે કહી ગાળો આપી શરીરે ઢીકાપાટુ મારી મુંઢ ઇજા કરી તથા ફરીયાદીને છુટો ઇંટનો કટકાનો ઘા મારી નાકના ઉપરના ભાગે ઇજા કરી અને ફરીયાદીની બા સાહેદ સવિતાબેનને ધક્કો મારી પાડી દઇ માથામા મુંઢ ઇજા કરી અને ફરીયાદીનો ભાઇ સાહેદ વાલજી તેની પત્નિને નહીં શોધે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ ચારેય આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.