રાજ્ય સરકારના લેબર કમિશનરેટ હેઠળ દરેક જિલ્લામાં અસંગઠિત કામદારો નું ઇ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો, કર્મચારીઓ અને નાના વ્યવસાયકારીઓ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે કલેક્ટર જે. બી. ૫ટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મીટિંગ મળી હતી.
કલેકટરએ આંગણવાડી વર્કર, તેડાગર, આશાવર્કર, શોપ એક્ટ હેઠળ દુકાનદારોના કામદારો, માછીમારો, બાંધકામ વર્કર, સેલ્ફ એમ્પ્લોયર્ડ વર્કર, મિલ્કમેન, ખેત કામદારો નાના વ્યવસાયકાર,ન્યુઝ પેપર વેન્ડર, મધ્યાન ભોજન, પુરવઠા વિતરણ, મનરેગા તેમજ કોઈ ને કોઈ કામ કરતા હોય પરંતુ જે ઇન્કમટેક્સ ભરતા ન હોય, જેનું પીએફ કપાતું ન હોય તેમજ ઈ.એસ.આઈ.સી.ના મેમ્બર ન હોય તેવી પગભર આર્થિક ઉપાર્જન કરતી તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ વચ્ચેની હોય તેઓ રજીસ્ટ્રેશન જાતે કરી શકશે અથવા નજીકના સી.એસ.સી. સેન્ટર ખાતે કરાવી શકશે. જે વિના મુલ્યે કાઢી આ૫વામાં આવશે. સંબંધિત કચેરીઓના અધિકારીઓ દ્વારા આ માટે કેમ્પ કરીને રજીસ્ટ્રેશન કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અંગેનું રજીસ્ટ્રેશન www.eshram.gov.in ઉપર કે જે મિનિસ્ટ્રી ઓફ લેબર એમ્પ્લોયમેન્ટ દ્વારા પોર્ટલ પર બનાવવામાં આવ્યું છે તેના પર થઈ શકશે. રજીસ્ટ્રેશન માટે માત્ર આધાર નંબર, મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોય તેને બેંક એકાઉન્ટની ડીટેઇલ્સ આપવાની રહેશે. આ કામગીરીની દેખરેખ અને અમલવારી માટે જિલ્લા કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે. જેમાં કલેકટર અધ્યક્ષ રહેશે અને આસિસ્ટન્ટ લેબર કમિશનર મેમ્બર સેક્રેટરી તરીકે કામગીરી કરશે અને ડિસ્ટીક લેબર ઓફિસર તથા જિલ્લાના સંબંધિત અધિકારીઓને પણ સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સરકારશ્રી દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે સરકારના લેબર અને એપ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઈ-શ્રમ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.