મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણને પગલે આજરોજ મોરબી કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ અને કલેકટરની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ, મોરબીના પ્રતિનિધિ તથા જિલ્લાના વિવિધ એસોસિયેશન જેવા કે મોરબી સીરામીક એસોસિયેશન, કિરાણા મર્ચન્ટ એસોસિયેશન, ગ્રેઈન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિયેશન, ખાધતેલ એસોસિયેશન, કંદોઈ એસોસિયેશન, શાકમાર્કેટ એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે હાલની કોવિડ–૧૯ ની પરિસ્થિતિ અન્વયે બેઠક યોજવામાં આવી.
જેમાં કોરોનાનું સંક્રમણ મોરબીમાં ફેલાતુ અટકે તે માટે પ્રભારી સચિવ, કલેકટર અને પોલીસ અધિક્ષકની અપીલને ધ્યાનમાં રાખી ઉપરોકત વિવિધ એસોસિયેશન દ્વારા તા.૧૦/૪/૨૦૨૧ શનિવાર સવારના ૬ વાગ્યાથી તા.૧૨/૪/૨૦૨૧ સોમવાર સવારના ૬ વાગ્યા સુધી દિન-૨ નું સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો લોકહિતમાં નિર્ણય લેવામાં આવેલ છે. તેમજ સોમવાર તા.૧૨/૪/૨૦૨૧ થી શુક્રવાર સુધી એક અઠવાડીયા માટે બપોરના ૨ વાગ્યા સુધી બજારો ચાલુ રાખી બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તેવું મોરબી જિલ્લા અધિક કલેક્ટર કેતન જોષી દ્વારા જાણાવામાં આવ્યું છે. આ ઉપરાંત આવનાર ગ્રાહકોને ફરજીયાત માસ્ક પહેરી સોશીયલ ડીસ્ટન્સ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.