મોરબી જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. છતાં પણ મોરબીના નગર દરવાજા પાસે સોશ્યલ ડિસ્ટન્સ અને વગર માસ્ક સાથે લોકો નજરે ચડતાં જોવા મળે છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે મોરબી શહેરમાં વધતા કોરોનાના કેસનું એપી સેન્ટર નગર દરવાજાના ચોકમાં સવારે ભરાતી શાક માર્કેટ તાત્કાલીક અન્યત્ર ખસેડવા અંગે મોરબીના જાગૃતિ નાગરિક નિર્મિતભાઈ કક્કડ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
જાગૃત નાગરિક નિર્મિતભાઈ કક્કડે રજુઆતમાં જણાવાયું હતું કે, મોરબી જીલ્લામાં દીન પ્રતિદીન કોરોનાનુ સંક્રમણ તેમજ મૃત્યુ આંક વધી રહ્યો છે. ત્યારે મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર નગરદરવાજાના ચોકમાં દરરોજ સવારે શાક માર્કેટ ભરાય છે. જેમાં બહોળી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે એકત્રિત થાય છે. જ્યાં સોશિયલ ડીસટન્સિંગનો સંદતર અભાવ જોવા મળી રહ્યો છે. જે જન આરોગ્ય સામે ગંભીર ખતરારૂપ છે.
થોડા મહીનાઓ પહેલા સરદાર બાગ સામે શાક માર્કેટ તંત્ર દ્વારા ખસેડવા મા આવી હતી પરંતુ શાળા-કોલેજો શરૂ થતા ત્યાં ભરાતી માર્કેટ બંધ કરવામાં આવી હતી. નગર દરવાજાના ચોકમાં બહોળી જનસંખ્યા ભેગી થતી હોય તેમજ સરકારી ગાઈડલાઈન્સનો ઉલાળીયો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યાંના દુકાનદારોમાં કોરોનાને લઇને ભયનું વાતાવરણ હોય નગર દરવાજે વહેલી સવારથી નવ વાગ્યા સુધી ભરાતી શાક માર્કેટને લોકોના બહોળા હિતને ધ્યાનમાં રાખીને અન્યત્ર ખુલ્લી વિશાળ જગ્યાએ (કાયમી ધોરણે) ખસેડવા ત્યાંના વેપારીઓની પણ માંગ છે.
શાકમાર્કેટને લીધે મોરબીના ધરેણા સમાન નગર દરવાજા ચોકની ગરીમા ઝંખવાય છે તેમજ સીટીના મેઇન ચોકમાં ગંદકી અને દબાણને લીધે પાર્કીંગ સમસ્યા રહેતી હોય ટ્રાફીક પ્રશ્ન નિવારવા માટે નગર દરવાજા ચોકમાં સવારે ભરાતી શાક માર્કેટનું અન્યત્ર સ્થાનાંતર કરવુ અનિવાર્ય છે. શાકભાજી વેંચતા લોકો સામાન્ય ગરીબ અથવા મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતા હોય છે, તેમને કોરોનાનું સંક્રમણ થતા તેમના પરિવાર પર આભ તુટી પડે છે. ત્યારે ગરીબ તેમજ સામાન્ય લોકોના આરોગ્યની રક્ષા માટે તેમજ કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે નગર દરવાજાના ચોકમા ભરાતી શાકમાર્કેટને એવી જગ્યાએ તાત્કાલીક સ્થળાંતરિત કરવામાં આવે જ્યા સોશિયલ ડીસટન્સિંગ જળવાઈ રહે, તેમજ સરકારી તમામ ગાઈડલાઈન્સનું યોગ્ય પાલન થાય તે અંગે યોગ્ય વ્યવસ્થા તાત્કાલીક કરવા રજૂઆત કરવામાં આવી છે.