તપોવન વિદ્યાલય મોરબી ખાતે ધોરણ – 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો
તપોવન વિદ્યાલય મોરબી દ્વારા ધોરણ – 10 અને 12 નાં બોર્ડનાં વિદ્યાર્થી માટે આજ તારીખ – 10 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા તેમજ ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બંને શિક્ષણવિદો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં હળવી શૈલીમાં કેવી રીતે જીવવું, જીવનમાં સંઘર્ષોનો આત્મવિશ્વાસથી કેમ સામનો કરવો, તેમજ અનુકરણ નહિ પણ અનુસરણ કરવું, ચિંતા વગર ચોક્કસ દિશામાં કાર્ય કરવું, ગોખણપટ્ટી નહીં પણ સમજણથી શિક્ષણ ગમતું કરવું, ફળની આશા રાખ્યા વગર કર્મને ધારણ કરવું સહિતના અનેક બાબતો પર વિશેષ કેળવણી યુક્ત વિચારોથી વિદ્યાર્થીઓને પથદર્શક કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા બદલ બંને મહેમાનોનું તપોવન વિદ્યાલયના સંચાલક અશોકભાઈ રંગપરીયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા તેમજ પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ દીપ્તિબેન રંગપરીયા અને સમગ્ર સ્ટાફગણે આભાર વ્યક્ત કર્યો હતો.

