મોરબી પંથકમાં સનમાઈકા લેમીનેટના અનેક કારખાનાઓમાં ગેરકાયદેસર રીતે ખેડૂતોના હિસ્સાના સરકારના સબસીડી યુરીયા ખાતરનો રેઝીન બનાવવામાં બેફામપણે ઉપયોગ થાય છે તે હકીકત વચ્ચે ગત તા.6 જુનના રોજ મોરબીના ટીમ્બડી પાટિયા નજીક એક શંકાસ્પદ આઇસરમાં ખાતરની બેગ બદલાવી નાખી ભરવામાં આવેલ 16280 કિલોગ્રામ યુરિયા ખાતરનો જથ્થો પકડાઈ જતા પોલીસે મોરબી ખેતીવાડી વિભાગના અધિકારી મારફતે નમૂના લેવડાવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલતા આ ખાતર નિમકોટેડ યુરિયા જ હોવાનું ખુલતા મોરબી તાલુકા પોલીસે જાતે ફરીયાદી બની બે આઇસર ચાલક સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સબસીડી વાળા નિમ કોટેડ યુરિયાના રેઝીન બનાવવા માટેના આ કૌભાંડમાં મોરબી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ મુળુંભાઇ ચાવડાએ આરોપી આઇસર રજિસ્ટ્રેશન નંબર જીજે – 36 – વી – 6984ના ચાલક પ્રવીણ રણજીતભાઈ ઠાકોર રહે.સાણંદ, આઇસર નંબર જીજે – 36 – ટી – 9970ના ચાલક દિનેશ કાળુભાઇ નાથજી, યુરિયા ખાતરનો જથ્થો ભરી આપનાર વિજય ભરવાડ રહે.ચુપણી તા.હળવદ અને યુરિયા ખાતર મંગાવનાર મૂળ હળવદ તાલુકાના એન્જાર ગામના વતની અને હાલમાં વટવા અમદાવાદ ખાતે રહેતા આરોપી મુન્નાભાઈ ઝાલાભાઈ ગોલતર વિરુદ્ધ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ તેમજ આવશ્યક ચીજ વસ્તુ કાયદા મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.યુરિયા ખાતરમાંથી રેઝીન બનાવવાના આ ગેરકાનૂની ધંધામાં હળવદ તાલુકાના નાડધ્રી ગામેથી અંદાજે 350 બેગ નિમકોટેડ યુરિયા ભરવામાં આવ્યું હોવાનું અને અમદાવાદ વટવા ખાતે મોકલવામાં આવનાર હોવાનું આરોપીઓ જણાવી રહ્યા છે ત્યારે હકીકતમાં તો હળવદથી અમદાવાદ નજીક થતું હોય આરોપીઓ મોરબીના ટીમ્બડી પાટિયા પાસે શા માટે યુરિયા ખાતર લઈને આવ્યા તે પણ મોટો સવાલ છે. જો કે ટીમ્બડી આજુબાજુના વિસ્તારમાં પણ મોટાપ્રમાણમાં લેમીનેટ કારખાના આવેલા છે ત્યારે ખાતર કૌભાંડિયાઓ મોરબી જ ખાતર ઠાલવવા આવ્યાની પણ શંકા ઉપજી રહી છે. સમગ્ર મામલે પોલીસે બે આઇસર ટ્રક અને 97,680ની કિંમતનો યુરિયા ખાતરનો 16,280 કિલોગ્રામ જથ્થો કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ હાલમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.