Tuesday, April 22, 2025

આણંદમાં માત્ર 6,781 હેક્ટરમાં ભાલિયા ઘઉંનું વાવેતર

Advertisement
Advertisement
Advertisement

તમાકુની ખેતીમાં મોખરાનું સ્થાન ધરાવતા આણંદ જિલ્લાનો ભાલ પંથક ઘઉંના વાવેતર અને ઉત્પાદનમાં મોખરે છે. જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા સહિતના ભાલ પંથકમાં ગત વર્ષે ૩૯,૯૯૧ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે તા.૧૩ ડિસેમ્બર સુધીમાં આણંદના ભાલ પંથકમાં ૬૭૮૧ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાતા ચાલુ વર્ષે ભાલિયા ઘઉંના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની શક્યતા વર્તાઈ રહી છે.

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે અત્યારસુધીમાં ૭૦,૪૫૨ હેક્ટરમાં રવી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૪૫,૭૫૪ હેક્ટરથી વધુ વિસ્તારમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં આણંદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હતું. તેમજ લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા રવી સિઝનના પાકની વાવણી માટે એક મહિનો મોડું થયું હતું. પરિણામે મોટા ભાગના ખેડૂતોએ રવી સીઝનમાં ઘઉંનું વાવેતર કરવાના બદલે ઉનાળુ ડાંગરની ખેતી કરવા ધરૂવાડિયા નાખી દીધા છે.

આણંદ જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારી શંભુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ગત વર્ષે ખંભાત, તારાપુર અને સોજિત્રા મળી જિલ્લાના ભાલ પંથકમાં કુલ ૩૯,૯૯૧ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. જ્યારે સમગ્ર આણંદ જિલ્લામાં ૪૯,૧૨૨ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું હતું.

ચાલુ વર્ષે તા.૧૩ ડિસેમ્બર સુધીમાં ખંભાત, તારાપુર અને સોજિત્રા તાલુકામાં કુલ ૬૭૮૧ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જ્યારે આણંદ તાલુકામાં ૧૬૧૦, આંકલાવમાં ૫૨, બોરસદમાં ૨૧૧, પેટલાદમાં ૪૦૯, ઉમરેઠમાં ૮૮૫ મળી જિલ્લામાં કુલ ૯,૯૪૮ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. જેથી જિલ્લાના ભાલ પંથકમાં ગત વર્ષની સરખામણીએ ૩૩,૨૧૦ હેક્ટર ઓછું વાવેતર થયું છે. આગામી સમયમાં અંદાજે પાંચ હજાર હેક્ટરથી વધુ ઘઉંનું વાવેતર થાય તેવી શક્યતા જોવા મળતી નથી તેમ ઉમેર્યું હતું.

પોષણક્ષમ ભાવ, યુરિયાની તંગી સહિતના કારણો જવાબદાર

ભાલ પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શિયાળામાં ઘઉંની મોડી વાવણી માટે અતિવૃષ્ટિ જવાબદાર પરિબળ છે. એક વીઘામાં માંડ માંડ ૨૦ મણ ઘઉંનો ઉતારો આવે છે, જેની સામે પોષણક્ષમ ભાવ મળતા નથી. પરિણામે ભાલ પંથકના ખેડૂતોએ ઘઉંના વાવેતરમાં રસ દાખવ્યો નથી. ઉપરાંત યુરિયા ખાતરની તંગી, દરિયાઈ ખારાશના કારણે ખંભાતની આસપાસની જમીનોમાં પાણીમાં ખારાશનું વધુ પ્રમાણ, કનેવાલ તળાવમાંથી આપવામાં આવતું પાણી સહિતના પરિબળો પણ ઘઉંના ઓછા વાવેતર પાછળ જવાબદાર છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW