
મોરબી: ડોનેટ લાઈફ દ્વારા દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે.
મૂળ મોરબીના વતની અને હાલ વલસાડમાં સેગવી ગામે આવેલ માણેકબાગમાં રહેતા સ્વ.રંજનબેન પ્રવીણભાઈ ચાવડા (ઉ.વ.૪૦) તા.૩૦ સપ્ટેમ્બરના રોજ તેઓ સ્કૂટર ઉપર પોતાના બહેનના ઘરે જઈ રહ્યા હતા. તે વેળાએ વલસાડના ધરમપુર રોડ ઉપર એસટી વર્કશોપ સામે અજણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી રંજનબેને સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ બ્રેઇન હેમરેજ થતાં અંતે ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. જે બાદ ડોનેટ લાઇટના માધ્યમથી તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા રંજનબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. જેથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું હતું. જેમાં રંજનબેનના લીવરને સુરતના જાણીતા હિરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયામાં સુરતની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી.

વલસાડ ખાતે અંગદાતા સ્વ.રંજનબેનની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફની ટીમે રંજનબેનને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લઇ પાંચ વ્યક્તિઓને નવજીવન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રાર્થના સભામાં ટપાલ વિભાગની અંગદાતા રંજનબેનના ફોટાવાળી “માય સ્ટેમ્પ” તેમના પરિવારજનોને તેમની યાદગીરીરૂપે આપવામાં આવી હતી. તદ્દઉપરાંત પ્રશસ્તિપત્ર આપી પરિવારજનોનું અંગદાનના કાર્યમાં તેમણે આપેલા સહયોગ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. અંગદાતાના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” પરિવારજનોને આપવામાં આવી હોય તેવી દેશની સૌપ્રથમ ઘટના છે.


