મોરબી: કોરોનાની પરિસ્થિતીમાં મોટો ફરક નહીં પડતા ગુજરાત સરકારે ધોરણ 10 એસ.એસ.સી.માં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. મહત્વપૂર્ણ છે કે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીની કોર કિમિટીની બેઠકમાં ધો. 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે. રાજ્યની કુલ 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઈડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,977 શાળાઓમાં ધોરણ 10 ના નિયમિત વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ 10 (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે જ્યારે રેગ્યુલર છાત્રોને માસ પ્રમોશન અપાશે. અંતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે.
પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે
રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ 10 માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ 10 (એસ.એસ.સી.) ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.
રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ જે તા. 10 મે થી 25 મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા. 15 મી એપ્રિલે કરેલો છે. રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય 15 મી એપ્રિલે કર્યો હતો. તા .15 મી મે એ કોરોના સંક્રમણ સ્થિતિનું આંકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે એટલું જ નહિ, ધોરણ 1 થી 9 અને ધોરણ11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી દર્દીઓ કોરોનામુકત થઇ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે આમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.