મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ
‘’મોરબી જિલ્લાના ભાવિ વિકાસ માટે નાગરિકોના પ્રતિભાવોના આધારે વિવિધ પગલાંઓ લઈને વિકસિત મોરબી@૨૦૪૭ નો સંકલ્પ સાકાર કરાશે’’ -જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી
મોરબી જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી : પ્રશાસન ગાંવ કી ઔર
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૯ થી ૨૫ ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય એ છે કે નાગરિકોના પ્રશ્નો કે જેનું નિરાકરણ બાકી હોય એનો જલ્દીથી સ્થાનિક કક્ષાએ નિકાલ આવે. તેમજ નાગરિકોને વડી કચેરી સુધી ધક્કો ખાવો ના પડે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે જિલ્લા કક્ષાનો વર્કશોપ મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષ ૨૦૪૭ ને ધ્યાનમાં રાખીને આપણા જિલ્લાનો મહત્તમ વિકાસ થાય તે રીતે આપણું આયોજન થવું જોઈએ. જેમાં દરેક વિભાગનો સહકાર આવકાર્ય છે. ગુડ ગવર્નન્સ, ગુડ ગ્રિવાન્સિસ, ગુડ સર્વિસ ડિલીવરી સિસ્ટમ વિકસાવવી, ભાવિ વિકાસ સંદર્ભે નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત મોરબી@૨૦૪૭ નો સંકલ્પ સાકાર કરવાનો હેતુ છે.
આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીએ આગળ જણાવ્યું હતું કે, શિક્ષણ શાખાના અધિકારીશ્રી અઠવાડિયામાં ૨ વાર તમામ શાળાઓમાં વારાફરતી સરપ્રાઈઝ ચેકિંગ કરે અને મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં તપાસ કરીને તેનું નિયમિત રિપોર્ટિંગ કરાવે. તેમજ શાળામાં તમામ સ્ટાફ સમયસર હાજર રહે તેવી વ્યવસ્થાનું પાલન થાય. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ વર્ગ- ૧ ના અધિકારીઓ દ્વારા રાત્રીસભાનું આયોજન થાય તેવી કામગીરી ગોઠવવામાં આવશે. જેથી ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે ગ્રામજનોને દૂર સુધી જવું ના પડે.
જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી કે સિરામિકની ફેક્ટરીવાળા વિસ્તારોમાં તાડપત્રી બંધાવવી, રો- મટિરિયલ શેડમાં જ રાખવું અને વોટર સ્પ્રિકલિંગ કરાવવું જેથી વાતાવરણમાં ધૂળ અને રજકણ ઓછા ઊડે અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર ના થાય.
કાર્યક્રમમાં શિક્ષણ, ખેતીવાડી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રીઓએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શિક્ષણ વિભાગની કામગીરી જોઈએ તો, આ વર્ષે કુલ ૧૦ નવી શાળાઓને મંજૂરી મળી છે. તેમજ નમો લક્ષ્મી યોજનામાં ૨૦૮૪૨, નમો સરસ્વતી યોજનામાં ૩૮૩૪, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં ૯૫૪ અને વિવિધ યોજનાઓમાં મળીને કુલ ૮૩ લાભાર્થીઓ છે. તેમજ ૩ શાળાઓનું બાંધકામ હાલમાં ચાલુ છે. છેલ્લા ૩ વર્ષમાં મોરબી જિલ્લામાં એસ.એસ.સી. માં રાજ્ય કક્ષાએ દ્વિતીય કક્ષાએ, એચ.એસ.સી. જનરલ સ્ટ્રીમમાં તૃતીય કક્ષાએ, અને એચ.એસ.સી. સાયન્સ સ્ટ્રીમમાં રાજ્ય કક્ષાએ પ્રથમ કક્ષાએ સ્થાન મેળવ્યું છે. જે મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ પર ૩૫૦૦ જેટલી ટ્રેકટર સહાયની અરજીઓ મળી છે. તેમજ ૩૫૦૦ જેટલી વિવિધ અન્ય સહાય માટે અરજીઓ આવી છે. કૃષિ રાહત પેકેજ અંતર્ગત રૂ.૨૩૪ કરોડની સહાય મોરબી જિલ્લાના ખેડૂતોને આપવામાં આવી છે.
ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીશ્રીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં રેડ ઝોનમાં ૧૩૨૯, ગ્રીન ઝોનમાં ૮૭૯ અને ગ્રીન ઝોનમાં ૧૧૧૭ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ તમામ ઇન્ડસ્ટ્રીઝનું નિયમિતપણે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. મોરબી જિલ્લામાં પોલ્યુશન અને વેસ્ટેજ ફિલ્ટર માટે ૫ પ્લાન્ટ આવેલા છે. જેમાં ઉદ્યોગોમાંથી નીકળતું પાણી અને કચરાનું શુદ્ધિકરણ કર્યા બાદ જ તેને નદી- નાળામાં છોડવામાં આવે છે. આ સિવાય મોરબી જિલ્લામાં આ વર્ષે સદભાવના સંસ્થા અને સિરામિક એસોસીએશન દ્વારા ૧૦૦૦૦ વૃક્ષો, લેમીનેટ શીટ્સ એસોસીએશન દ્વારા ૧૬૦ વૃક્ષો અને પેપર મિલ એસોસીએશન દ્વારા ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેનાથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણનું પ્રમાણ ઘટી શકે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત, કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમના અંતે આભાર વિધિ અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે.ખાચરે કરી હતી.
આ જિલ્લા કક્ષાના વર્કશોપમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ઇન્ચાર્જ) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવી, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, આયોજન, મહેસૂલ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ સહિતની વિવિધ કચેરીઓ અને શાખાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.