મોરબી: દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫ મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. મોરબી જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અન્ન, નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મંત્રી આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે.
આ અંગેનો કાર્યક્રમ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે કોવીડ-૧૯ અંગેની અદ્યતન ગાઇડલાઇન મુજબ યોજવામાં આવશે. આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે. આ સાથે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું.
આજે યોજાયેલ રિહર્સલ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટર એન.કે. મુછાર, સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ અને પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.