Wednesday, April 23, 2025

મતદાર સંબંધિત વિસ્તારના ન હોય, તેમને મતદાનના 48 કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મતદાન શરૂ થવાના સમય પહેલાના ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રસાર પ્રચાર બંધ કરવાની જોગવાઈ છે. આગામી તારીખ ૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. તેમજ સંબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડી દેવાનો રહે છે.

મોરબી જિલ્લામાં ચૂંટણીઓ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, લોકો કોઈપણ પ્રકારના ભય, શેહશરમ વગર મતદાન કરી શકે, રાજ્ય ચૂંટણી આયોગ તરફથી મળેલ સૂચના અનુસાર નિવારક પગલાં લેવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રસાર પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય, તો તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે તારીખ ૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાક પછીથી તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ચૂંટણી હેઠળના વિસ્તાર છોડીને જતાં રહેવું. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તારીખ ૧૪/૦૨/૨૦૨૫ થી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાની સુનિશ્ચિત અમલવારી કરાવવા માટે મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હેઠળના વિસ્તારોમાં જિલ્લા પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રએ યોગ્ય તકેદારી રાખવી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW