(અહેવાલ: જયેશ બોખાણી) દર્દીઓની સેવામાં દિવસ-રાત ફરજ બજાવી મોતના મુખમાંથી બચાવી નવજીવન આપનાર ડોક્ટરો ક્યારેય દર્દી માટે ભગવાન સમાન ગણવામાં આવે છે. ત્યારે ઉપલેટા પંથકના યુવાનને એક માસ સુધી અવિરત સારવાર આપી મોતના મુખમાં ધકેલાયેલ યુવાનને જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફે નવજીવન બક્ષ્યું છે.
જેમાં ઉપલેટા પંથકના રવિ બારિયા એક માસ પેહલા ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યો હતો. તે વેળા તેના શરીરમાં ઝેરી દવા ગઇ હતી. આખા શરીરમાં ઝેર ફેલાઇ જતાં તેમને ઉપલેટાની સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેની તબિયતમાં કોઇ સુધારો ના આવતા તેને જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો. જુનાગઢ સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં તેમની એક માસ સુધી સારવાર ચાલી હતી.
જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના ડો.ધ્રુમિલ કણસાગરા અને તેમના તબીબી સ્ટાફએ હિમંત હાર્યા વગર એક માસ સુધી સતત દર્દીની સારવાર કરી હતી. દર્દીની સારવાર કરનારા તબીબે જણાવ્યું હતું કે, દર્દી વધારે પડતો અશકત હોવાથી મોટી ચેલેન્જ ડોક્ટરો માટે ઊભી થઇ હતી પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે હિંમત હાર્યા વિના તેનો જીવ બચાવ્યો છે. ત્યારે યુવાનના પરિવારજનોએ ડો.ધ્રુમિલ કણસાગરા તથા સ્ટાફનો આભાર માન્યો હતો.
