Friday, April 25, 2025

ગરીબોના ઘરમાં દિવળા પ્રગટાવવા યંગ ઇન્ડિયા ગ્રુપની અનોખી ખરીદી

Advertisement
Advertisement
Advertisement

શોપિંગ મોલ, ઓનલાઈનને બદલે રેંકડી – પાથરણા ધારકો પાસેથી મોટાપાયે ખરીદી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બર્સ, સામાન્ય વર્ગના વેપારીઓને સ્વનિર્ભર બનાવવા માટે તેમની પાસે જ ખરીદી કરવા લોકોને મેસેજ આપ્યો

મોરબી : દીવાળી એટલે દરેકના ભીતરમાં રહેલા અંધકારને દૂર કરી સત્યરૂપી દીપ જલાવાનું પર્વ છે. ખાસ કરીને દિવાળી નિમિતે ધનિક હોય કે સામાન્ય દરેક લોકો પોત પોતાના આર્થિક માપદંડને ધ્યાને રાખી અનેક ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. હાલમાં મોટા શોરૂમ, શોપિંગ મોલમાં ખરીદીનો જબરો ક્રેઝ છે.ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા કે રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ વેંચતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી લોકો ખરીદી કરીને તેમના ઘરમાં દિવાળીના દીપ.પ્રગટાવે એ હેતુથી મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે આ નાના માણસો પાસેથી શોપિંગ કરવાનું અનેરું અભિયાન ચલાવ્યું હતું.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળી નિમિતે સામાન્ય વર્ગના વેપારીઓના મનમાં પણ દિવાળીની રોનક ખીલવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી નિમિતે શહેરના નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં ઘણા સામાન્ય માણસો પાથરાણા પથારીને દિવડા-કોડિયા, ફુલહાર તોરણ, ઘર સુશોભનની સહિતની અનેક નાની-મોટી ચીજવસ્તુઓનો વેપાર કરે છે.તેમજ અમુક સામાન્ય વર્ગના લોકો રેકડી કે કેબિનમાં આવી વસ્તુઓ વેચે છે. ત્યારે આવા સાવ નાના વર્ગના માણસોનું ખમીર જળવાઈ રહે તેમજ તેમને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના પરિવાર માટે કોઈ શોપિંગ મોલ કે મોટા શો રૂમને બદલે આવા પાથરાણાવાળા લોકો પાસેથી દિવાળીનું શોપિંગ કર્યું હતું. એટલું જ નહીં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ નાના વર્ગના માણસો પાસેથી બજારભાવે તમામ માલને ખરીદી લીધો હતો. આથી દિવાળી ફળી જતા એ લોકોના ચહેરા પણ દિવાળીની ખુશીઓની કોઈ સીમા રહી ન હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ આ દિવાળી નિમિતે ચલાવેલા ખાસ અભિયાન અંગે જણાવ્યું હતું કે, લોકો શોપિંગ મોલ અને મોટી દુકાનોમાં ખરીદી કરવાની સાથે આ નાના લોકો જેઓ પણ સામાન્ય વેપારીઓ હોય તેમની પાસે પણ ખરીદી કરીને તેમને સ્વનિર્ભર બનાવની તક આપે તેવો અમારો આ અભિયાન પાછળનો ઉદ્દેશ્ય છે. આમ પણ દિવાળી એ ઉમંગ ઉલ્લાસનું પર્વ છે અને આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ એકબીજાને ખુમારી પૂર્વક મદદરૂપ થઈને તહેવારની ઉજવણી કરવી એ જ તહેવારોનું સાચું સોહાર્દ છે. આથી આ રીતે દિવાળીના દીપ અમે ગરીબોના ઘરે પ્રગટાવીને એમને પણ તહેવારોની ઉજવણી કરવાનો અવસર આપ્યો છે.તેથી દરેક લોકો નાના વર્ગના ધંધાર્થીઓ પાસેથી દિવાળીનો શોપિંગ કરે ત્યારે જ અમારો આ હેતુ સાર્થક થયો ગણાશે.

Related Articles

Total Website visit

1,502,402

TRENDING NOW